30 November 2009

વિલાસથી

કોરી ગઈ મુજ હૈયે વાણી એ વિલાસથી,
કોરા દિલમાં પાંગરી હતી એ વિલાસથી,

બસ એમની યાદ જ આવતી ખુદા મને,
ધર્મની નિઃપેક્ષતા પાંગરી એ વિલાસથી.

સ્વમાનથી રાહબર બનીને ઉઠતી સજા,
મયકદામાં કોણે ભોગવી'તી એ વિલાસથી.

એમને ડર ક્યાં હતો પ્રેમ કે સિતમનો,
બસ દોસ્તો, મહેફીલ મળી એ વિલાસથી.

પ્રતીક્ષા મળી હતી કૈ સવારે અને સાંજે,
મોસમ જો મળે, નીભાવી'તી એ વિલાસથી.

-કાંતિ વાછાણી

21 November 2009

પ્રેમની વાચા

કોઇ આંખોને ઉલેચી તાગ લેવા આવશે,
કે પછી ખામોશ દિલને હામ દેવા આવશે,

આંખથી કે'વું હવે તો આકરુ લાગે ભલે,
મૌનથી બોલાય એ મનમાં કહેવા આવશે.

કોણ ચૂપકેથી જગાડી જાય એ સમજાય છે,
તે પહેલા આંખ મીંચીને કહેવા આવશે.

સ્મૃતિઓ વાગોડતા વીંધાય છે કાળજુ,
ત્યાં અભેદ્ય આરઝુ જો ને કહેવા આવશે.

ઓગળી ગઈ આંખમાં એ લાગણી ભેદને,
કે અધુરા પ્રેમની વાચા કહેવા આવશે.


-કાંતિ વાછાણી

17 November 2009

કવિ

અજાણે કોઈ સફર કરી ગયુ હશે ?
એ વિચારી જોયુ તો
આપણી વચ્ચે વીખરયેલા સપના
રોપી ગયુ કોઇ,
ના, ના એ તો અમસ્તુ લાગ્યુ,
પછી વાતે વાતે પ્રાસ ને અનુપ્રાસ
સાંભળીને થયુ ક્યાંક કવિ જેવુ તો કોઈ બની ગયુ હશે........

-કાંતિ વાછાણી

13 November 2009

કલ્પના

હટી જશે કોઇ
આવરણ સમયનું
ક્યાંક પળવારમાં
પછી એ વેરાન વિચારોમાં
ગુંજતુ રાખવા
આપ બળે પણ બળવુ પડશે,
એ કોઇ મારી કલ્પના હતી......શું ?

-કાંતિ વાછાણી

10 November 2009

તારલીયાની વાત

આકાશને અળગુ કરી કયા, જાય એ તારલીયાની વાત !
અંધારાને આડશમાં લઈ, પછી થાય એ શમણાની વાત.

આ અંબરના ઓઢાણામાં ચમકે
તિમિરના તેજ લિસોટા લઈ,
કોઈ નવલીના ઘુંઘટમાં મલકે
તમરાના શોર પલભર થઈ,
વગડા ને વાટ અંધારા પી, ને ચાલી એ શમણાની વાત !
આકાશને અળગુ કરી કયા, જાય એ તારલીયાની વાત !

આગિયા અંધારે અંતરમાં પલકે
પંખીઓ પોતાની પાંખમાં લઈ,
વાયરાએ વિંધાય કિરણ ઝળકે
ક્ષણના પડછાયા આંખમાં લઈ,
નિતદિન વાગોડુ અજવાળુ, થાય ફરી સહજતાની વાત !
આકાશને અળગુ કરી કયા, જાય એ તારલીયાની વાત !

-કાંતિ વાછાણી

05 November 2009

પત્ર

મિત્ર,
કુશળતા તારી ચાહતો, કુશળ છુ.

નેહનાં નિખાલસ ભાવે હંમેશા આત્મીયતા ઉભરાય
અને અમે કાંઈ મેળવ્યા નો આનંદ લઈ એજ.. મૈત્રી...

તારા મુખેથી બહાર આવતા શબ્દો ભલે સાવ સામાન્ય શબ્દો કેમ ન હોય, એમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ ના હોય તેજ સારું છે, પરંતુ એ સામાન્ય શબ્દો અસામાન્ય ચોક્કસ હોય શકે છે, જ્યારે શબ્દો અંતરનાં ઊંડાણમાંથી ઊંડે ઊંડે રહેલ મૌનમાંથી પ્રગટે છે ત્યારે એ શબ્દો પોતાની એક સુવાસ લઈને આવે છે, અને એ સુવાસ એક દિવ્ય હકારાત્મક સંચાર ઉત્પન્ન કરે છે, માણસે અંતે તો માણસ ની સાથે જ જીવવાનું હોય છે, માણસ માણસથી ભાગી શક્તો નથી, માણસની સમજ તેને બીજા માણસો કરતા નોખો અને ચોખ્ખો બનાવે છે.......
જેના પર પ્રેમ હોય તેનામાં જ - અને ફક્ત તેનામાં જ દિવ્યતાનો અનંતતાનો સાક્ષાત્કાર થઈ શકે....જીવનમાં અનંત, અસીમ, અવર્ણનીય, અક્ષર, અજીત, અમરપ્રેમ એવા પાર લૌકિક તત્વનો અનુભવ કરીએ તેનું નામ જ પ્રેમ હશે.....માનવીય પ્રેમ સંબંધોમાં પણ પરમાત્માનો અનુભવ થતો હોય છે, અનંત, અસીમ, અવર્ણનીય, અક્ષર, અજીત, અમરપ્રેમ જેવા શબ્દો બેફામ વપરાશને કારણે ઘસાઈને છોતરાં થઈ ગયા, જ્યાં ભાષાનો અનંત આવે અને શબ્દોની રમત પુરી થાય છે ત્યાંથી જ પ્રેમનો આરંભ થાય છે....

સમયની સતેહ હંમેશા સરકતી જાય અને જે કાંઈ યાદની ઓળખથી સ્નેહમાં કંડારીએ એટલે આનંદ..

પત્ર લખવાની આદત છુટી ગઈ છે, ફરી આજ આપના સથવારે પાંગરે અને મહેકતાં ફૂલો ની
જેમ તેનો મઘમઘાટ ગુંજે...

લી. આપનો આત્મીય મિત્ર

04 November 2009

જવાની મળી'તી અજાણે

કયાં એ જવાની મળી'તી અજાણે,
ભલે એ ઉજાણી કળી'તી અજાણે.

મળે ભીંજવેલા શબ્દોમાં ઉદાસી,
અધીરાઈ કોણે કહી'તી અજાણે.

જમાનો મળ્યો એ સવારી ઉછાળી,
અસર એ કયારે ફળી'તી અજાણે.

સમયની થયેલી અટકળો વિસારી,
કયાં એ ઘડીઓ ગણી'તી અજાણે.

અમે સ્મૃતિમાં આવતા ને વિચારી,
ફરીયાદ કોની મળી'તી અજાણે.

ચહેરા પરિચિત હતા એ નિહાળી,
અચાનક જવાની મળી'તી અજાણે.

-કાંતિ વાછાણી